રોહિત શર્માની કેપ્ટન્સીમાં ટીમ ઈન્ડિયાએ ધર્મશાળામાં રમાયેલી છેલ્લી ટેસ્ટમાં મોટી જીત નોંધાવી હતી. ટીમ ઈન્ડિયાએ 5 મેચની શ્રેણીમાં 4-1થી હરાવ્યું હતું. શ્રેણીની પ્રથમ મેચ હાર્યા બાદ ટીમ ઈન્ડિયાએ બાઉન્સ બેક કર્યું અને પછીની ચાર મેચ જીતી લીધી. એક તરફ ટીમ ઈન્ડિયા ચેમ્પિયન બની, તો બીજી તરફ રોહિત શર્માનું ક્રિકેટમાંથી નિવૃત્તિ અંગેનું નિવેદન ચર્ચાનો વિષય બની ગયું.
ધર્મશાળા ટેસ્ટ બાદ રોહિતનો વીડિયો થયો વાયરલ
ધર્મશાળા ટેસ્ટના ત્રીજા દિવસે 9 માર્ચ શનિવારના રોજ ટીમ ઈન્ડિયાનો પ્રથમ દાવ 477 રન પર સમાપ્ત થયો હતો અને ત્યારબાદ ભારતીય સ્પિનરોએ ઈંગ્લેન્ડને બીજી ઈનિંગમાં માત્ર 195 રનમાં આઉટ કરી દીધી હતી. આ રીતે ટીમ ઈન્ડિયાએ છેલ્લી ટેસ્ટ એક દાવ અને 64 રનના મોટા અંતરથી જીતીને શ્રેણી 4-1થી જીતી લીધી હતી. આ જીત બાદ કેપ્ટન રોહિત શર્માનો એક ઈન્ટરવ્યુ આવ્યો, જેમાં તેણે નિવૃત્તિ અંગેના સવાલોના જવાબ આપ્યા.
નિવૃત્તિના સવાલ પર રોહિતે શું કહ્યું?
વાસ્તવમાં, આ ઈન્ટરવ્યુ પ્રથમ વખત 24 જાન્યુઆરીએ, ટેસ્ટ સિરીઝની શરૂઆતના થોડા સમય પહેલા જ આવ્યો હતો. પૂર્વ ભારતીય વિકેટકીપર દિનેશ કાર્તિકે કેપ્ટન રોહિતનો આ ઈન્ટરવ્યુ સીરિઝ બ્રોડકાસ્ટર Jio સિનેમા માટે કર્યો હતો. આમાં, જ્યારે રમતમાંથી નિવૃત્તિ લેવાની વાત થઈ, ત્યારે સ્ટાર બેટ્સમેને કહ્યું કે તે કયા દિવસે ક્રિકેટ છોડી દેશે. રોહિતે કહ્યું કે એક દિવસ તે જાગશે અને તેને લાગશે કે તે હવે ફિટ નથી (રમવા માટે), તો તે ખુલીને વાત કરશે અને બધાને નિવૃત્તિ અંગે જાણ કરશે.
હાલમાં નિવૃત્તિનો રોહિતનો કોઈ ઈરાદો નથી
જો કે, રોહિત, જે એપ્રિલમાં 37 વર્ષનો થવા જઈ રહ્યો છે, તેણે એ પણ સ્પષ્ટ કર્યું કે હાલમાં તેનો એવો કોઈ ઈરાદો નથી કારણ કે છેલ્લા 2-3 વર્ષમાં તે પોતાનું સર્વશ્રેષ્ઠ ક્રિકેટ રમી રહ્યો છે અને તેની રમત પણ પહેલા કરતા વધુ સારી થઈ છે. યુવા ખેલાડીઓ સાથે ટીમને ટેસ્ટ શ્રેણી જીતવામાં મદદ કર્યા બાદ અને બે સદી ફટકારીને મહત્વપૂર્ણ યોગદાન આપ્યા બાદ રોહિતની રમત ચાલુ રાખવાની ઈચ્છા વધી હશે. આવી સ્થિતિમાં ભારતીય પ્રશંસકોને આ સ્ટાર ઓપનર બોલરોને ફટકારતા જોવાની તક મળતી રહેશે.
રોહિતનું આગામી લક્ષ્ય
ટેસ્ટમાં તેના જોરદાર પ્રદર્શન બાદ રોહિતની નજર હવે જૂનમાં યોજાનાર ટી20 વર્લ્ડ કપ 2024 પર રહેશે, જેમાં તે ટીમ ઈન્ડિયાનું નેતૃત્વ કરશે. ગત વર્ષે વનડે વર્લ્ડ કપમાં જીતની નજીક આવ્યા બાદ ફાઈનલમાં પરાજયએ રોહિત સહિત સમગ્ર ટીમ ઈન્ડિયા અને ભારતીય પ્રશંસકોના દિલ તોડી નાખ્યા હતા અને આવી સ્થિતિમાં તે જૂનમાં આ ઘાને મટાડવાનો પ્રયાસ કરશે.