સુશાંતસિંહ રાજપૂત જાણે કે સપનું થઈ ગયા હોય એમ લાગે. અચાનક ચમકતો સિતારો હિન્દી સિનેમાના ફલકમાંથી ખરી પડ્યો. તેજોમય તારલો, જેની પાસે દરેક પ્રકારનું જ્ઞાન હતું એવી વ્યક્તિ અચાનક આ દુનિયા છોડીને જતી રહી. સુશાંતના મૃત્યુ બાદ લોકોને માન્યામાં જ નહોતું આવતું કે તેણે આત્મહત્યા કરી હશે. એના મૃત્યુ બાદ તેના પરિવારને જાણ કરવામાં તો આવી પણ જાણ કર્યાંના થોડા સમય બાદ તરત જ પોસ્ટમોર્ટમ અને એ પછી તરત જ અંતિમક્રિયા કરી નાખવામાં આવી હતી.
આ બાબતે મોટાભાગના સુશાંતના ફેન્સે અને દેશની જનતાએ આ આત્મહત્યા નહીં પણ મર્ડર હોવાની શંકા જતાવી અને આ અંગે તપાસ થવી જોઇએ એવી માંગ પણ કરી. એ ચળવળમાં એ સમયે આખો દેશ જોડાયો હતો, લોકો એક જ માંગ કરી રહ્યા હતા કે સુશાંતના મર્ડર વિશે તપાસ થવી જોઇએ. તપાસ સી.બી.આઈ દ્વારા જ થવી જોઈએ.
લોકોની માંગથી તપાસ હાથ તો ધરવામાં આવી પણ જેવો જનરોષ શાંત થયો, લોકોનું ધ્યાન આ મુદ્દા ઉપરથી બીજે શિફ્ટ થયું કે તરત જ આ કેસને પડતો મૂકી દેવામાં આવ્યો છે. આ બાબતે સુશાંતની બહેન શ્વેતાસિંહ કીર્તિએ માંગ કરી છે કે સી.બી.આઈ મારા ભાઈના મૃત્યુની તપાસ કરી રહી છે, પણ એ બાબતે 45 મહિના થઈ ગયા હોવા છતાં હજી કોઇ જ વર્ડિક્ટ નથી આવ્યું. કેમ આટલો સમય થઈ રહ્યો છે? હજી ઘણાં સવાલો અમારા મનમાં ફરી રહ્યાં છે જેના જવાબ નથી. મારા ભાઈના મૃત્યુ પછી મારે એના રૂમમાં જવું હતું પણ મને જવા નહોતું મળ્યું.
મારા ભાઈના મૃત્યુના દિવસે જ એના ઘરના તેમજ ઘરની આસપાસના સી.સી.ટીવી કેમેરા કેમ બંધ પડી ગયા હતા. ભાઈના ઘરની ચાવી કેમ નહોતી, એના રૂમની જ એક ચાવી કેમ મિસિંગ હતી. આવા અનેક સવાલો હજી ડહોળાય છે. અમને એનો જવાબ નથી મળ્યો તો હું ફરી રિક્વેસ્ટ કરું છું કે આના ઉપર પ્રકાશ પાડવામાં આવે અને કોઈ પણ નિર્ણય જલદી આવે.
શ્વેતાસિંહે આ રિક્વેસ્ટ આપણાં પી.એમને સંબોધીને કરી હતી અને તેમને આ મામલે હસ્તક્ષેપ કરવા આજીજી કરી હતી.